રમેશ
પારેખની યાદમાં…
તું વાતે વાતે શબ્દના
ભારા ન મોકલાવ
તારા વિશેના અમને
દિલાસા ન મોકલાવ
મંઝિલ તો ઝાંઝવાનું
બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ
રસ્તા ન મોકલાવ
જે આંખમાં રહેતો હતો
ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં
સપના ન મોકલાવ
આકાશ લઈને ચાંદ તો
ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા
સિતારા ન મોકલાવ
છલકે છે બેઉ કાંઠે
હજી પૂર શબ્દનાં
તળિયેથી તારા મૌનના
પડઘા ન મોકલાવ
આંસુ વહીને જાય છે
પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું
પાછાં ન મોકલાવ
બેસી પલાંઠી વાળીને
સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના
દીવા ન મોકલાવ
હંધાય આલા ખાચરો જે
બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી
કહુંબા ન મોકલાવ
પૂરી થઈ નથી હજી
જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને
મક્તા ન મોકલાવ
વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના
છાંટા ન મોકલાવ.
-આદિલ
મન્સૂરી
0 comments:
Post a Comment